2022-08-22 18:42:53
"સ્વામી વિવેકાનંદ" - એક પૂર્ણ યોગી
ભારત ભ્રમણ સમયે એક વખત સ્વામીજી રેલમાં મુસાફરી કરી રહ્યા હતાં. તે સમયે તેઓ બારી પાસેની સીટ પર બેસેલા હતા અને ટ્રેન ની બહારનું દૃશ્ય જોઈ પોતાની રીતે અવલોકન કરી રહ્યા હતા. અમુક સ્ટેશન પાર કર્યા બાદ એક સ્ટેશને ટ્રેન ઊભી રહી કેટલાક યાત્રીઓ ઉતર્યા કેટલાક નવા યાત્રીઓ ચડ્યા. પરંતુ સ્વામીજી ને જાણે એનાથી કંઈ ફરક ન પડતો હોય તેમ સ્વામીજી એકચિત્ત થઈને પોતાના અવલોકનમાં મસ્ત હતા, એવામાં એક યુવાન તેમની પાસે આવ્યો અને સ્વામીજી ને બારી પાસેની જગ્યા ખાલી કરવા કહ્યું, સ્વામીજીએ કોમળતા થી સામે જોયું અને ફરી પાછા બારીની બહાર જોવા લાગ્યા. પોતાની વાતને અવગણી તેવું જોઈને તે ભટકેલ યુવાન જરાક ક્રોધે ભરાયો અને તે રોષે ભરાયેલા અવાજે સ્વામીજીને અભદ્ર ભાષા સાથે બોલ્યો "ચાલ એય બાવા તને એક વાર કીધે સમજાતું નથી? કહ્યુંને ઊભો થા નહિતર જોવા જેવી થશે" સ્વામીજીએ ફરીવાર તે યુવાન સામે જોયું અને નિર્દોષતા થી ફરીવાર બારીની બહાર જોવા લાગ્યા.
હવે પેલા ક્રોધિત યુવાન નો રોષ સાતમા આસમાને પહોચ્યો અને તે જોર જોરથી બબડવા લાગ્યો. પરંતુ સ્વામીજી પર તેની તલભાર પણ અસર થઈ નહિ, ત્યારે ખૂબ ગાળો આપ્યા બાદ તે યુવાન થાકીને સ્વામીજીની સામે બેસી ગયો અને પૂછ્યું. "મે આપને આટલી બધી ગાળો આપી, ઉગ્ર સ્વરથી પણ બોલ્યો પરંતુ આપને ગુસ્સો કેમ નથી આવતો?
સ્વામીજીએ હળવેથી સ્મિત કરીને કહ્યું, "શેનો ક્રોધ?"
"મે ગાળો આપી તેનો", પેલો યુવાન બોલ્યો
સ્વામીજીએ કહ્યું, અચ્છા આપે મને ગાળો આપી?
યુવાને કહ્યું, "હા"
સ્વામીજીએ કહ્યું, "પણ મે તો આપની ગાળ સ્વીકારી જ નથી"
યુવાને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, "મતલબ?"
સ્વામીજીએ કહ્યું, "આપે મને ગાળો આપી, એ વાત હું સ્વીકારું છું, પણ મે તે અપશબ્દો નો સ્વીકાર કર્યો જ નથી"
પેલો યુવાન હવે ઠંડો પડી ગયો અને સ્વામીજીના ચરણો સ્પર્શ કરીને કહ્યું, હે મહાન યુગપુરુષ આપ કોણ છો? મને કૃપા કરીને જણાવો.
ત્યાર બાદ સ્વામીજીએ તેને પોતાની બાજુએ બેસાડ્યો અને તે વ્યક્તિએ પોતાની તમામ ગેરરીતિ છોડીને આધ્યાત્મ નો માર્ગ સ્વીકાર કરવાની કસમ ખાધી.
નોંધ:
આમ મિત્રો જીવનમાં આપણે પણ ઘણીવાર આવી પરિસ્થિતિ માંથી પસાર થતા હોઈએ છીએ જ્યાં આપણે ઉગ્રતા બતાવી દઈએ છીએ, ખરેખર તે સાચું નથી.
"પાણીને ગમે તેટલું ઉકાળો તે છલકાતું નથી"- મયુરધ્વજસિંહ અનિરુદ્ધસિંહ રાઠોડ
@GujaratPremi
814 views15:42