Get Mystery Box with random crypto!

રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો આશરો આંદોલ | જય ગરવી ગુજરાત ✊

રોલેટ એક્ટ સામેના આંદોલનને કચડી નાખવા માટે દમનનો આશરો

આંદોલનના બે નેતાઓ સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને કાળાપાણીની સજા આપવામાં આવી હતી. 10 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના ઉપ-કમિશનરના ઘર પર આ બંને નેતાઓને મુક્ત કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. તે વખતના ઉકળાટભર્યા વાતાવરણમાં 5 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. તેના વિરોધમાં બ્રિટિશ સિપાહીઓએ ભારતીય જનતા પર અંધાધૂંધ ગોળીબાર કરીને 8થી 20 ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આગામી બે દિવસ દરમિયાન અમૃતસર તો શાંત રહ્યું હતું. પરંતુ પંજાબના અન્ય ક્ષેત્રોમાં હિંસા ફેલાઈ ગઈ હતી અને અન્ય 3 યૂરોપીય નાગરીકોની હત્યા થઈ હતી. આ પ્રકારની પરિસ્થિતિને કચડવા માટે પંજાબના મોટાભાગના વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરી દીધો હતો.

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ

બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું. 

સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો. 

જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી. શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો. જેના કારણે ઘાયલોને સારવાર માટે પણ ક્યાંય લઈ જઈ શકયા ન હતા. લોકો સારવારના અભાવમાં તડપીને જીવ આપી રહ્યાં હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. જ્યારે જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે. બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે. તેમના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો. અનાધિકારીક આંકડા પ્રમાણે, 1000થી વધારે લોકો માર્યા ગયા હતા અને 2000થી વધારે લોકો ઘાયલ થયા હતા.

વરિષ્ઠોને જનરલ ડાયરનું રિપોર્ટિંગ

મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો. 

જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ

આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.

હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોર્ડ્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને 1920માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. 1927માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.